છાંયો જે બોલતો હતો (ભાગ -3 )
Pankhil Gajjar
Jan 12, 2026
રવિ હસ્યો.
આ હાસ્યમાં આનંદ નહોતો,
ન તો વિજય—
એ તો એક થાકેલો સ્વીકાર હતો.
અરીસામાંથી બહાર આવતી છાયા હવે ધીમે ધીમે સ્પષ્ટ થતી ગઈ.
એ છાયા રવિ જેવી નહોતી…
એ કંઈક ઓળખીતું લાગતી હતી,
જાણે હવેલી જેને બહાર મોકલવા માગતી હતી,
એ હવે પસંદ થઈ ગયું હોય.
અરીસાની સપાટી પર તરંગો ઊભા થયા અને અવાજ આવ્યો:
“દરેક હવેલીને આંખો જોઈએ…
અને દરેક આંખ પાછળ એક મન.”
શંકર એક પગ પાછળ ખસ્યો.
એના પગ જમીનને અડતા નહોતા.
એ હવે જીવતો માણસ નહોતો,
પણ પૂરો ભૂત પણ નહોતો—
એ એક બંધાયેલો સાક્ષી હતો.
રવિને હવે બધું સમજાઈ ગયું.
હવેલી માણસોને મારતી નથી.
એ માણસોને બદલે છે.
હવેલીની બહાર ભાણાભાઈ દીવો લઈને ઊભા હતા.
એ દીવો વર્ષોથી એમની સાથે હતો—
શંકર ગુમાયો ત્યારથી.
અંદરથી હળવી હાસ્યની અવાજ આવી.
એ અવાજ સાંભળીને ભાણાભાઈની આંખો ભીની થઈ ગઈ.
અચાનક પવનનો ઝાટકો આવ્યો
અને દીવો બુઝાઈ ગયો.
અંધકારમાં એક ઓળખીતો અવાજ સંભળાયો:
“ભાઈ…”
ભાણાભાઈ ફરી વળ્યા.
પચીસ વર્ષ જૂનો શંકર સામે ઊભો હતો—
એ જ ચહેરો,
એ જ આંખો,
પણ એમાં જીવ નહોતો.
એ ક્ષણે ભાણાભાઈ સમજી ગયા—
હવેલી હવે કોઈ એક જગ્યા સુધી સીમિત રહી નથી.
સવારે ગામવાળાને હવેલીના દરવાજા પાસે
ભાણાભાઈનો દીવો મળ્યો.
ભાણાભાઈ ક્યારેય પાછા આવ્યા નહિ.
પરંતુ દીવાની બાજુમાં,
ભીંજાયેલી જમીન પર
બે છાયાઓ સ્પષ્ટ દેખાતી હતી.
****
કેટલાંક દિવસો પછી ગામમાં એક નવો માણસ આવ્યો.
એણે પોતાને લેખક કહ્યું.
એ કહેતો—
“હું ગામડાંની લોકકથાઓ પર કામ કરું છું.”
એ ખૂબ શાંત હતો.
વાત કરતી વખતે આંખોમાં અજીબ ઓળખ હતી,
જાણે એ પહેલેથી બધું જોઈ ચૂક્યો હોય.
ગામના બાળકો કહેતા—
એ માણસ ધૂપમાં પણ ઠંડો લાગે છે.
અને રાત્રે,
એની બારી પાસે દીવો બળતો હોય છતાં
છાયા દીવાલ પર હલતી રહેતી.
એ જ્યારે લખતો,
કાગળ પર શબ્દો પહેલા દેખાતા,
પણ થોડી ક્ષણમાં
એ શબ્દો છાયામાં ફેરવાઈ જતા.
એના લખાણના પ્રથમ પાનાં પર એક વાક્ય હતું:
“જો તમે આ વાંચી રહ્યા છો,
તો સમજજો—
હવેલી હવે એકલી નથી.”
અને એ જ રાત્રે,
ગામની બહારની દીવાલ પર
એક નવી હવેલીની છાયા પડવા લાગી—
ધીમી…
પણ જીવંત.
💬 Comments (0)
Please login to leave a comment
Login